Wednesday, September 10, 2014

શિક્ષણ, જ્ઞાન અને સંસ્કારથી શોભતી આકાશેઠકુવાની પોળ

- અલી મહંમદ ખાને ૧૭૬૧માં ''મીરાતે અહમદી'' નામનો ગ્રંથ લખ્યો હતો. જેમાં આકાશેઠકુવાની પોળ અને નાગરોનું વર્ણન કર્યું છે. અમદાવાદનાં ભો.જે. વિદ્યાભવનમાંથી ઉપલબ્ધ થયેલો કાનૂની દસ્તાવેજ (ખતપત્ર નં. ૪૧, એસેસન નં. ૮૯૦૧) તો ખૂબ મહત્વનો છે      

જેવી રીતે જૈનો અને વૈષ્ણવ વણિકો વ્યાપારવાણીજ્યની પરંપરા માટે જાણીતા છે તેવી રીતે નાગરો, શૈક્ષણીક, સાહિત્યીક, ભાષાકીય અને વહીવટી પરંપરા માટે જાણીતા છે. જેમ કે ઝવેરીવાડમાં આવેલી પોળોમાંથી જૈનોએ ખીલવેલા વાણીજ્યનાં સંસ્કાર અને તેની સાથે વણાયેલી અહિંસા અને જીવદયાની ભાવના પ્રગટ થાય છે. તેવી રીતે એક જમાનામાં આકાશેઠકુવાની પોળ ''નાગરોની પોળ'' તરીકે ઓળખાતી. છેલ્લા પચાસેક વર્ષથી તેનું ક્લેવર બદલાતાં મારવાડીઓ સહીત અન્ય જ્ઞાતિઓનાં માણસો અહીં રહે છે. પણ તે અગાઉ આકાશેઠકુવાની પોળનું વ્યક્તિત્વ ઘડવામાં નાગરો તથા નાગર-બ્રાહ્મણોએ ઘણો મોટો ફાળો આપ્યો હતો. મગનલાલ વખતચંદે આજથી ૧૬૩ વર્ષ પહેલાં ૧૮૫૧માં તેમના ગ્રંથ 'અમદાવાદનો ઈતિહાસ'માં લખ્યું હતું ઃ ''આકા નામના શેઠે કૂવો બંધાવ્યો હતો. તેથી તેઓ જે પોળમાં રહેતા હતા તે પોળનું નામ આકાશેઠકુવાની પોળ પડયું છે. તેમાં નાગરોની વસ્તી ઘણી છે અને તેઓ મોટી મોટી હવેલીઓ બાંધીને રહે છે.'' R.E. Enthoven નામના અંગ્રેજ વિદ્વાને ''The Tribes and Castes of Bombay’’માં (૧૯૨૦) લખ્યું છે ઃ ''નાગરો દેખાવડા, બુધ્ધિશાળી અને પ્રગતિશીલ છે. તેઓ સાહિત્ય અને શિક્ષણમાં પ્રવીણ છે. રજવાડાઓમાં દીવાનો નાગર હોય છે.''
નાગરોની જાણકારી એક ફારસી ગ્રંથમાંથી પણ પ્રાપ્ત થાય છે. અલી મહંમદ ખાને ૧૭૬૧માં ''મીરાતે અહમદી'' નામનો ગ્રંથ લખ્યો હતો. તેમણે આકાશેઠકુવાની પોળ અને નાગરોનું વર્ણન કર્યું છે. અમદાવાદનાં ભો.જે. વિદ્યાભવનમાંથી ઉપલબ્ધ થયેલો કાનૂની દસ્તાવેજ (ખતપત્ર નં. ૪૧, એસેસન નં. ૮૯૦૧) તો ખૂબ મહત્વનો છે. દસ્તાવેજ સંવત ૧૮૩૦નો, એટલે કે ઈ.સ. ૧૭૭૪નો છે. તે મુજબ ઝારોળા વણીક નામનાં પીતાંબર શાહની વિધવાએ બે ઓરડા, પરસાળ, ચોક, રસોડુ અને ટાંકુ ધરાવતું મકાન રૃા. ૫૦૧/-માં વૈજનાથ પ્રાણનાથ મહેતા નામના નાગરને ગીરે આપ્યું હતું. દસ્તાવેજમાં વળી ઈ.સ. ૧૭૧૫ની સાલનો ઉલ્લેખ છે તે બતાવે છે કે આકાશેઠકુવાની પોળ તે સમયે પણ સમૃધ્ધ પોળ હતી.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ૧૮૪૯માં શરૃ થયેલા 'વરતમાન' નામના અઠવાડિકને 'બુધવારીયું' કહેવાતું
- 'વરતમાન' અઠવાડિક લોકપ્રિય હતું. મગનલાલ વખતચંદે ૧૮૫૧માં નોંધ્યુ કે,'અભણ લોકો ભણેલા પાસે ટોળે વળીને વરતમાનમાંથી પ્રાપ્ત થતાં સમાચારો મોટેથી બોલાવતા અને તે અભણ લોકો હોંશે- હોંશે સાંભળતા.' મગનલાલે ઉમેર્યું ઃ 'બીજો ઉપાય એ શોધી કાહાડો કે તારીખ બીજી મેએ સને ૧૮૪૯ને રોજથી વરતમાન નામનું દર બુધવારે ન્યુસપેપર કાહાડવા માંડું કે જેની મારફતે નીતિની વાતો સર્વ લોકોને કહી શકાય. હાવું કામ અમદાવાદમાં આ પહેલું છે.'

No comments: